સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- જન્માક્ષર નથી મળતાં!
વિધિ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટાં પડ્યાં! એવું શું કામ થયું?
કુટુંબ પરિવાર કે વેવાઈ વેલામાં પરણવા લાયક દિકરો દિકરી હોય અને આપણે કોઈને, ચીંધીએ કે આ ઠેકાણે પરણવા લાયક સુંદર કન્યા છે, કે પછી સારું કમાતો યુવક છે! અને વાતચીત ચાલે છેવટે કારણ નીકળે કે જન્માક્ષર નથી મળતાં કે પછી કન્યાને મંગળ છે! નાગર સેતુમાં હમણાં હમણાં આ પ્રયોગ પણ શરૂ થયો છે, અને દર મહિનાનાં બીજા રવિવારે પરિવાર વાળાં પોતાનાં સંતાનો અથવા પરિચિતનો બાયોડેડા મુકે! એટલે સ્વાભાવિક કોઈને ચીંધીએ! મૂળમાં તો પાન પાટિયું અને… પરંતુ એવું લાગે કે સમયનાં આ મોડ પર પણ શું આ બધું યોગ્ય છે! અને આપણે આ પ્રક્રિયાને વધુ જટિલ બનાવી દીધી છે! કારણકે લવ મેરેજ હોય તો માતાપિતા આતંર જ્ઞાતિય, વિધર્મી, અને આંતર રાષ્ટ્રીય સંબંધો સ્વીકારતાં થઈ ગયા છે! પરંતુ એરેન્જ મેરેજમાં ભારતીય સમાજ હજીપણ ગ્રહ દોષ, કે નાડી દોષ, અને મંગળનાં ચક્રમાંથી બહાર નથી આવ્યો! એટલે કે જન્માક્ષર મળવાં હજીપણ એટલું જ જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્રની રીતે કદાચ સાચું હશે! પણ આટલા વર્ષના લગ્ન જીવન બાદ એટલું તો કહી જ શકાય કે, જેટલાં આપણને આપણા આગ્રહો નડે છે, એટલાં ગ્રહ તો નથી જ નડતાં! આ પણ સચ્ચાઈ છે.
વિધિ માટે આજે બહુ મોટાં ઘરનું માગું આવ્યું હતું અને મમ્મી પપ્પા બહુ ખુશ હતાં! વિધિ પણ ખુશ હતી! પરંતુ બધાં મનોમન પ્રાર્થના કરતાં હતાં કે જન્માક્ષર મળી જાય તો સારું! કારણકે વિધિ ને કોઈ લગ્ન પ્રસંગે વિભોર એ જોઈ હતી અને એ ત્યારથી ભાવ વિભોર થઈ ગયો હતો અને એટલે જ રૂપિયા વાળા હોવા છતાં વિધિ નું માંગું કર્યું! પણ આ કુંડળી નું કુંડાળું બહુ ખતરનાક હોય છે, એટલે એ હેમખેમ પાર ઉતરી જાય તો સારું! પરંતુ જેનો ડર સેવ્યો હતો એ જ સામું આવ્યું એટલે કે વિભોર નાં ઘરેથી પંડિત એ જન્માક્ષર નથી મળતાં એવું કારણ આવ્યું! વિધિ વિભોર મિલન પહેલાં જ છૂટાં પડ્યાં! પુત્રની જીદ આગળ કંઈ ચાલ્યું નહીં એટલે અંતે જન્માક્ષર નું બહાનું કાઢ્યું! આવી વાતને બધાંએ સમર્થન આપ્યું! થોડો સમય લાગ્યો પણ પછી વિભોર એની જેટલા જ ધનવાનની એકની એક દીકરી વૈભવી સાથે પરણી ગયો!
પરંતુ વિધિ સાથે આટલું મોટું માગું આવ્યું પણ મંગળ છે એ લેબલ એવું ચોંટી ગયું! કે લગભગ બધેથી ના જ આવવાં લાગી ! અને વિધિ એ લગ્ન નામની સંસ્થામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું, અને મમ્મી પપ્પાની સામાન્ય સ્થિતિને ઉંચી લાવવાનું બીડું ઝડપ્યું! એક પછી એક પ્રમોશન મેળવી આજે દસ વર્ષે એટલે કે 22 થી 32 વર્ષે તો એ જી એમ ની પોસ્ટ પર પહોંચી ગઈ. નાના ભાઈ ભાભી અને એનાં નાના દિકરા ના પરિવાર સાથે જીવન જતું હતું, એટલે એમ સમજો કે દુઃખી પણ નહીં અને સુખી પણ નહીં, એવી હાલતમાં એની જીંદગી આગળ ચાલતી હતી!
પાંચ વર્ષના દામ્પત્ય માં એમને બે વર્ષની દિકરી થઈ, અને ખુશખુશાલ જીંદગીને જાણે ગ્રહણ લાગ્યું હોય એમ કુદરત નું કરવું અને વિભોરની પત્ની વૈભવી નું અચાનક એક ગેસ એક્સિડન્ટ માં મૃત્યુ થયું! દાદા દાદી અને વિભોર ત્રણેય થઈને શ્રદ્ધા ને ઉછેરતા હતાં! એક દિવસ નાનકડી શ્રદ્ધા રમતી હતી અને વિભોર નાં માતાપિતા બેઠાં હતાં, ત્યાં વાત માંથી વાત નીકળી અને વિભોર નાં પિતા એ કહ્યું કે આપણી એક ભૂલનું આ પરિણામ છે! વિધિ સાથે વિભોર નાં જન્માક્ષર મળ્યા નહીં એમ પંડિત એ કહ્યું, પછી બીજા પંડિત ને જન્માક્ષર બતાવ્યા નહીં! અને એક ગાંઠો છટક્યો એવી લાગણી સાથે વિભોર ને વિધિ ને ભૂલી જવા કહ્યું! સાંભળ્યું છે કે એ દિકરીનું પછી ક્યાંય લગ્ન થયું નહીં! વિભોર ની મમ્મી એ કહ્યું કે સાચી વાત છે! આપણે આ જન્માક્ષર માં પડ્યા ન્હોત તો કંઈ નહોતું! શક્ય છે કે વિભોર નાં કોઈ ગ્રહ દોષને કારણે જ વૈભવીએ જીવ ગુમાવ્યો હોય એવું પણ બને! વિભોર રુમમાં પ્રવેશતાં જ આ વાત સાંભળી, એને પણ વિધી યાદ આવી ગઈ! એનાં મિત્ર પુનીત એ કહ્યું હતું કે વિધિ હજી કુંવારી છે! વર્ષ બે વર્ષ થયાં પણ વિભોર નું મન હવે આ શહેરમાં લાગતું નહોતું એટલે ધંધો સમેટી બીજા શહેરમાં રહેવા ગયા!
વિભોરની મમ્મી એને યાદ અપાવ્યું કે આજે પેરેન્ટ ટિચર મિટિંગ માટે શ્રદ્ધાની સ્કૂલે જવાનું છે! અને એક વાગ્યનો સમય હતો પણ વિભોરને યાદ મોડું આવ્યું એટલે દોઢ વાગ્યે પહોંચ્યો! સ્કૂલે પહોંચ્યો તો શ્રદ્ધા કોઈ સાથે રમતી હતી! વિભોર નજીક ગયો અને સોરી કહ્યું એને એમ કે શ્રદ્ધાની ટિચર હશે! પરંતુ આ તો વિધિ હતી, વિધિ પણ એનાં ભત્રીજા શ્રેય માટે જ સ્કૂલે આવી હતી. ભલે સમયની થપાટની અસર ચહેરા પર વર્તાતી હતી, પણ રૂપની નજાકત હજી એવી જ હતી! વિધિ એ તો કદાચ મુલાકાતના સમયે એને જોયો હતો, પણ વિધિ ને તો એણે કોઈનાં લગ્ન પ્રસંગે જોઈ ત્યારથી એનાં દિલની રાણી બની ગઈ હતી! ભલે વૈભવી સાથેનું એનું લગ્ન જીવન પ્રસન્ન જ હતું, પણ દિલના એક ખૂણે વિધિ હજી વિધિવત સ્થાન ધરાવતી હતી! વિધાતાએ આજે કેવા મોડ પર એને ભેગા કર્યા! બંને ને વાત કંઈ રીતે કરવી એ સુઝતું નહોતું! અને એ કામ શ્રદ્ધા એ આસાન કર્યું અને કહ્યું, પપ્પા દર વખત જેમ તમે આવ્યાં નહીં, અને ટિચર મને ખિજાશે એ બીકે હું રડતી હતી ત્યાં આન્ટી એ કહ્યું કે હું સંભાળી લઈશ, અને એણે ટિચરને કહ્યું કે હું અને શ્રદ્ધાના પપ્પા ખાસ મિત્ર છીએ, અને એમને ઓચિંતી એક મિટિંગ આવી ગઈ એટલે મને કહ્યું છે! વિભોર એ શ્રદ્ધાને કહ્યું કે બેટા અમે સાચે જ મિત્ર છીએ! બંને ઔપચારિક વાતો કરી છૂટાં પડ્યાં! ન વિભોરે કહ્યું કે શ્રદ્ધાની મમ્મી હવે નથી! અને ન વિધિ એ કહ્યું કે શ્રેય મારો નહીં મારા ભાઈનો દિકરો છે! બંને ની કાર જુદી જુદી દિશામાં જતી રહી!
મિત્રો આજનાં આધુનિક યુગમાં શિક્ષણ અને વિજ્ઞાન બંને ખૂબ જ પ્રગતિ કરી છે, અને શિક્ષણને નામે ઘરથી બહાર વસતા યુવક યુવતીઓ આ ખોટા પ્રેમનો ભોગ બનતા હોય છે, તો ક્યારેક સાચા પ્રેમને સહન કરવું પડતું હોય છે. પણ મૂળ વાત અહીંયા આપણી વૈચારિક માનસિકતાની છે કે, જ્યોતિષ અને આ કુંડળીના ચક્કરમાં આવા તો કેટલાય યુગલોના જીવન બરબાદ થતા હોય છે. હું એમ નથી કહેતી કે આ વસ્તુ ખોટી છે, અથવા તો તેને અનુસરવું નહીં. પણ આ એક સંશોધનનો વિષય તો જરૂર છે કે આખરે આ “કુંડળી”મારુ જીવન બનાવશે, કે બરબાદ કરશે? તે પ્રશ્નાર્થ દરેક યુવક-યુવતીએ વિચારવા જેવો તો ખરો જ. મેં ધાર્યું હોત તો બંનેને મેળવીને વાર્તાને એક નવો મોડ આપી શકી હોત, પરંતુ વાર્તાનાં મૂળ બોધનું મહત્વ જળવાઈ રહે, એટલે વાર્તાને આ રીતે પૂરી કરી. મારી પોતાની અંગત વાત કહું તો આજથી, 38 વર્ષ પહેલા જ્યારે લગ્નનો પ્રસ્તાવ આવ્યો ત્યારે, અમારાં બન્નેનાં કુટુંબીજનો એ આ વાતનો મર્યાદાથી વિરોધ કર્યો હતો, અને અમે આ કુંડળીના ચક્કરમાંથી બચી ગયાં, અને મારાં સંતાનોનાં લગ્ન પણ કુંડળી જોયા વગર જ થયા છે. તો જોઈએ તો દોષ દેખાય ને?!!, એ સત્યને સ્વીકારીને આગળ વધી શકાય ખરું.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
