સદગુરુ કૃપા હી કેવલમ.
સંકલન- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- માનસ કબંધ (ભાગ ૩)
પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.
માનસ સંબંધની ત્રીજા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કબંધ શબ્દનો વિસ્તૃત અર્થ કર્યો!; કે મસ્તક વિનાનો હોય એ કબંધ, જેને આપણે ધડ કહીએ છીએ. મોટેભાગે ક લાગતાં એનો અર્થ નકારાત્મક થઈ જાય છે, કપટ, કુસંગ, કુમતિ. પરંતુ શાસ્ત્ર અનુસાર ‘ક’ નો મતલબ જ્ઞાન પણ થાય છે, અને ‘ક’ નો અર્થ બ્રહ્મ પણ થાય છે. બંધ શબ્દ સારો છે, અને યોગની પ્રક્રિયામાં યોગ બંધની મહત્તા ઘણી બતાવાઈ છે.
નિપાત શબ્દનો અર્થ મારીને પાડી દેવું! જેમ કે સંસારનાં જંગલમાં કામદેવ ભીલ બનીને આપણને પાડી દે છે. મનજાત કિરાત નિપાત, આપણાં જેવાં મૃગને ભીલ તીરથી મારી પાડી દે છે. ભોગ શબ્દ સારો છે,પણ કુભોગની મનાઈ છે! જેમકે આપણા રૂપિયાથી આપણે દૂધપાક બનાવી આરોગીએ તો એ ભોગ છે, પણ કોઈનાં રૂપિયા છીનવી અને એકલા એકલા દૂધપાક પી જઈએ તો એ કુભોગ છે. કામદેવ રુપી ભીલ આપણને કુભોગનું તીર મારી પાડી દે છે, બાકી ભોગ એટલો ખરાબ નથી. વાલ્મીકિ રામાયણમાં રામજી ભરતજીને પુછે છે કે તારાં રાજ્યમાં દસવર્ગ છે?; દસ વર્ગ એટલે કામદેવ રુપી ભીલ જ્યારે તીર મારે છે, ત્યારે દસ કુભોગ પ્રગટ થાય છે, એટલે કે દસ દોષ! રામ પુછે છે! તારાં રાજ્યમાં કોઈ શિકારી નથી ને ? કારણકે રાજાઓને ઋષિઓ તથા આદિવાસી વગેરેની રક્ષા માટે જ શિકારની છૂટ હતી! પણ પછી એ શોખ બની ગયો. એટલે કે રાજા માટે પણ હિંસા સ્વધર્મ નથી, એ કુભોગ છે. પરંતુ ગીતા કહે છે કે જ્યાં તમારો કોઈ સ્વાર્થ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, છતાં નિયત કર્મથી ત્યાં ઘાત થાય તો એ પાપ નથી, ક્ષમ્ય છે! આવું ગીતા જ કહી શકે! (૧) હિંસા, (૨) જુગાર. (૩) સ્ત્રીમાં અતિશય આસક્તિ. (૪) મદ્યપાન, (૫) ચોરી, (૬) વ્યર્થ ભાષણ, (૭)વાદ્ય વગાડવાની મનાઈ. (૮)નાચવાની મનાઈ છે. આમ રાજાને આવાં કુભોગથી બચવાની સલાહ વાલ્મીકિ આપે છે, આગળનાં બે દોષ કથાનાં પ્રવાહમાં ચૂકાઈ ગયાં હશે.
વાલ્મીકિ રામાયણ મુજબ કબંધની કથા જોઈએ એમણે બે કથા કહી છે. ભગવાન રામ અને લક્ષ્મણ એક પ્રગાઢ અને ભયંકર જંગલમાં પ્રવેશ કરે છે. વાલ્મિકીજીની ખાસિયત છે કે, એ જંગલનું, નદીઓનું, વનપશુઓનું, રાઘવની વીરતાનું અદભુત વર્ણન કરે છે, એમણે રામનાં હાથમાં ત્રણ હથિયાર આપ્યા છે, સરચાપ ખડગ અને તલવાર. આગળ પાતાળ જેવી એક ગુફા આવી, અને વિશ્વની તમામ ભયંકરતા જેમાં સમાઈ હોય, એવી એક રાક્ષસી આવે છે, અને એ પણ પ્રભુ સાથે લગ્નથી જોડાવા માંગે છે, અને ભગવાન એને નિર્વાણ આપે છે. યાત્રા આગળ વધે છે, અને વાલ્મિકી કબંધનો પ્રવેશ કરાવે છે, અને એનાં શરીરનું વર્ણન કરે છે. ઈન્દ્રની કૃપાથી પેટમાં એનું મુખ છે, એને મસ્તક નથી, પણ એક બહુ મોટી આંખ છે, ભયંકર દાંત છે, એક જાંઘ કપાયેલી છે, એક એક જોજનની બે ભૂજાઓ છે. કબંધને બે શ્રાપ મળ્યા છે, એક સ્થૂલશિરા ઋષિ અને બીજા ઈન્દ્ર! ઋષિ સ્થૂલશિરા જડીબુટ્ટી બનાવવા માટે જંગલમાં ઔષધિ શોધી રહ્યા છે! એક ને શિર નથી અને એકને સ્થૂલ શિર છે! કબંધ એને પોતાની ભયાનકતાથી ડરાવે છે! અને એ શ્રાપ આપે છે, કે તું ગમે તેટલું ખાઈશ ભૂખ્યો જ રહીશ! પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ થાય નહીં એ કબંધનો સગો ભાઈ છે. કોઈને આપવા માટે લાંબા હાથ રાખો, છીનવી લેવા માટે નહીં, કોઈનું છીનવી લેવું એ પણ કબંધનો સગો ભાઈ. કબંધ એ ઋષિના પગ પકડી લીધાં, અને શ્રાપનું નિવારણ કરવાં કહ્યું! ઋષિએ કહ્યું કે રઘુવંશનાં રામભદ્ર પોતાની પત્ની સીતાની શોધ માટે આવશે, ત્યારે તારી કુરુપતાનો નાશ થશે! કારણકે કબંધ તો એક યશસ્વી દિવ્ય રુપ ધરાવતો ગંધર્વ હતો, એતો ઈન્દ્રનાં શ્રાપને કારણે! વાલ્મીકિ વર્ણન કરે છે કે, એનાં શરીરમાં સૂર્ય જેવી કાંતિ હતી, ચંદ્ર જેવું શૈત્ય, અને ઈન્દ્ર જેવું રૂપ હતું, પરંતુ અહંકારને કારણે ઇન્દ્રનાં સ્વર્ગ પર ચડાઈ કરી, અને ઈન્દ્ર એ સો આરા વાળું એક બાણ છોડ્યું, અને ઈન્દ્ર એ મારી જાંઘ, છાતી, મસ્તક કાપી નાખ્યું. એમણે પણ શ્રાપના નિવારણ માટે કહ્યું કે રઘુવંશનાં રામભદ્ર એનાં ભાઈ લક્ષ્મણ સાથે એની પત્ની સીતાની શોધ માટે આવશે, અને ત્યારે તને તારું મૂળ રુપ પ્રાપ્ત થશે! રામ અને લક્ષ્મણ એ કબંધની બંને ભૂજાઓને કાપી અને એને એનું મૂળ રૂપ પ્રાપ્ત થયું, અને પછી કબંધ ભગવાનને આગળ માર્ગદર્શન કરતાં કહે છે કે, આગળ માતંગ ઋષિના આશ્રમમાં શબરી આપને સુગ્રીવ વિશે જણાવશે. અહીં વાલ્મીકિ કબંધનાં મોઢે રાજનૈતિક પક્ષ મુકે છે. રઘુકુલ ભૂષણ રાજામાં છ વસ્તુ હોવી જોઈએ.
આપ પણ રાજા છો! અને સુગ્રીવ પણ રાજા છે, આપની પત્નીને રાવણ લઈ ગયો છે, અને સુગ્રીવની પત્નીને વાલી લઈ ગયો છે. આપ પણ દર દર ભટકી રહ્યા છો! સુગ્રીવ પણ દર દર ભટકી રહ્યો છે. સુગ્રીવ રવિનો અંશ છે, આપ પણ સૂર્યવંશી છો! સમધર્મી સમપિડિત, સમદુઃખી રાજા મળે ત્યારે, આ છ પ્રકારના કામ કરવા જોઈએ. સંધિ,વિગ્રહ, યાન, આસન, દ્વિધર્મા, અને સમાશ્રિતા. સંધિ પછી વિગ્રહ અહીં વિગ્રહનો અર્થ સંઘર્ષ, આ સાધુ નિતી નથી રાજનીતિ છે. યાન સાધનથી એટલે હુમલો કરવો, જળયાન વાયુયાન. આસન એટલે ધીરજ, કોઈ બાબત ઉતાવળ કરવી નહીં. રાજા દ્વિધર્મા હોવો જોઈએ, એટલે કે સામ દામ દંડ ભેદ ગમે તેનો ઉપયોગ કરી સમસ્યાનો ઉકેલ લાવે. સમાશ્રય એટલે જરુર ન્હોય ત્યાં સંબંધ બગાડે નહીં, પણ એની સાથે મળીને કંઈક નવું કરે, અથવા આટલું તારું આટલું મારું! પરંતુ કબંધ આટલું જ નથી કહેતો કહે છે, સુગ્રીવ સાથે આ છ પ્રકારની રાજનીતિની વાત કરશો તો એ સૂર્ય પુત્ર હોવાથી દરેક સ્થાનને જાણે છે, અને એથી આપનું કલ્યાણ થશે! આમ પ્રભુ રામ કે જે કલ્યાણ નાં નિધાન છે, એને કબંધ કલ્યાણ થશે! એમ કહે છે. સીતા તો ભક્તિ છે અને પોતાનાં આ તામસ વિગ્રહથી એ ભક્તિનું સ્થાન બતાવી નહીં શકે.
થોડાં પ્રશ્નોનાં જવાબમાં ઓશોનાં એક વિધાનને કોટ કરતાં કહ્યું કે, સકારાત્મક વિચારો જેટલાં વધુ આંદોલિત થાય છે, એટલાં શેતાની તત્વો દૂર રહે છે. ખૂબ પાકું ગણિત, હકારાત્મક વિચાર, શુભ ચિંતન, સદવિચાર, શુભ ભાવના એ બધું જેટલું ફેલાય, ત્યાંથી આસુરી તત્વો હટી જાય છે. એવાં ચિંતનનાં પ્રભાવ, પ્રકાશમાં એ ટકી શકતાં નથી, અને જગ્યા કરી આપે છે, અથવા ભાગવા લાગે છે. કથાના ક્રમમાં ભરદ્વાજ ઋષિના રામ કોણ છે? એ પ્રશ્નના જવાબમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે, રામકથા પહેલાં શિવકથા સાંભળવી પડે, પછી રામકથા! આમ કહી ત્રીજા દિવસની કથાને વિરામ આપ્યો.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
