સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- શ્રાવણી સત્સંગ.
મિત્રો શુભ સવાર.
મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ તરફ સહજ સન્મુખ કરે છે.
હે દેવાધિદેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા રુપે રહેલાં આપનાં સૌમિત્રી સ્વરૂપને સાષ્ટાંગ પ્રેમ. ભક્તિનાં નામે વૈરાગ્ય ના નામે સજ્જન હોવાનો જીવ લાખ દાવો કરે તો પણ એમાં દંભની અમુક માત્રા રહી જ જાય છે અને એ જ કળિયુગની પ્રભાવકતા! અને એટલે જ શિવપુરાણમાં કળિયુગની વ્યાપકતાની વાત કરવામાં આવી છે! પરંતુ કેટલુંય વિશ્લેષણ કરીને જાગૃત રહેવા કોશિષ કરીએ,પણ ક્યાંક ચૂક તો થઈ જ જાય ! અને એટલે જીવને છેવટની ઘડીએ બે દ્વિધા સતાવે! અરરરર ભગવત્ ભજન તો કર્યું નહીં! અને બીજું કમાયેલ ધન સંપત્તિ, પદ પ્રતિષ્ઠા, અને સંબધો આ બધું જ છોડવું પડશે, અને એ કેમે છૂટતું નથી! ત્યારે આપણને મૃત્યુંજયનો મંત્ર મદદ કરી શકે. ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્। ઉર્વારુકમિવ બંધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ॥ ઋગ્વેદમાં આવેલા આ મંત્રનો અર્થ શિવપુરાણમાં શુક્રાચાર્ય એ બતાવ્યો છે, અને જે આપણાં જેવાં કળિયુગનાં સંસારી કે જેને છેક સુધી નથી ભોગ લાલસા છૂટતી કે નથી દેહ લાલસા છૂટતી એની માટે બહુ જ ઉપયોગી છે.
ત્રણ નેત્રવાળા શિવ કે જે જ્ઞાન, અંતદ્રષ્ટિ અને ચેતનાના પ્રતીક છે! જેમ સુગંધ દેખાતી નથી, છતાં સર્વત્ર અનુભવાય છે, તેમ ઈશ્વરીય ચેતના સર્વત્ર વ્યાપ્ત છે. જે શરીર, મન અને આત્માની શક્તિને વધારે છે, અને એટલે પાકેલું ફળ જેમ વેલથી સ્વાભાવિક રીતે છૂટે, તેમ સાધક અજ્ઞાન, અહંકાર અને આસક્તિનાં બંધનોથી મુક્ત થાય. તથા મૃત્યુનાં ભય અને જન્મમરણના બંધનથી મુક્તિ આપી, અમૃત એટલે શાશ્વત પરમ સત્ય સન્મુખ કરો. આ મંત્રનો મૂળ આધ્યાત્મિક ભાવ છે, “હે શિવ, મને મૃત્યુના ભયથી નહીં, પરંતુ મૃત્યુના મૂળ એવા અજ્ઞાન અને આસક્તિથી મુક્ત કરો અને મારા શાશ્વત આત્મસ્વરૂપનો અનુભવ કરાવો.”
શિવ પુરાણનાં મહાત્મ્યમાં આપણે ભગવાન ભોળાનાથની કૃપાનું સુખદ્ પરિણામ જોયું, આપણી એક બહુ મોટી ભૂલ એ થઈ કે આપણે ધર્મની બાબતમાં આગ્રહમાં અટવાઈ ગયાં, એટલે કે આમ તો થવું જ જોઈએ! અથવા એવું બિલકુલ નહીં ચાલે! અને એને કારણે નવી પેઢી ધર્મને પ્રંપચનો અડ્ડો સમજવા લાગી, અને ધર્મને નામે કોઈ ઠોસ આધાર ન મળતાં ભટકી ગઈ, એટલે બાપુ કહે છે, એમ શ્રોતા વક્તા બંને વચ્ચે ચૈતસિક સેતુ બની શકે એમ કથાનું આયોજન કરવું! અને એમાં પરમ તત્વની જ પ્રધાનતા રહેવી જોઈએ.
કે જ્યાં ગંગા યમુનાનો સંગમ થયો છે એવાં તપસ્વીઓનાં પુણ્યથી પ્રકાશતાં પ્રયાગમાં જ્યારે સૂતજીને આવતા જોયા ત્યારે મુનિઓ અત્યંત હર્ષિત થઈ ગયાં, અને એમને પુછવા લાગ્યાં, કે આ પહેલાં પણ અમે આપના શ્રી મુખેથી કથા સાંભળી છે, પણ અમને હજી તૃપ્તિ થઈ નથી. કળિયુગની વ્યાપકતાની વ્યાધિ અમને પીડા આપે છે! તો આ કાળમાં પણ સર્વનું હિત જેમાં સમાયેલું છે, એવો કોઈ ઉપાય બતાવો!
મુનિઓ કહે છે કે ઘોર કળિયુગમાં મનુષ્ય પુણ્ય કર્મ કરતાં બંધ થઈ જશે, અને સતત કોઈને કોઈ દુરાચારમાં પ્રવૃત્ત રહેશે. સત્યને નીતિથી વિમુખ થતાં જશે, અન્યોની નિંદામાં એમને રસ પડશે. પારકું ધન હડપ કરી લેવાની ઈચ્છા દિન પ્રતિદિન વધતી રહેશે, પર સ્ત્રીમાં આસક્તિ વધતી જશે, પ્રાણીઓની હિંસા કરતાં પણ અચકાશે નહીં. પોતાનાં દેહને જ આત્મા સમજવાની ભૂલ કરી દિવસે ને દિવસે દેહ કેન્દ્રી અથવા નાસ્તિક થતાં જશે. બુદ્ધિમાં પશુતા પ્રવેશી જતાં માતાપિતા સાથે પણ દ્વેષ કરશે,બ્રાહ્મણો લોભી બનતા જશે, વેદ વેચીને પણ આજીવિકા ચલાવશે, વિદ્યા પણ માત્ર આર્થિક ઉપાર્જન માટે જ છે, એવો અર્થ કરી વિદ્યાને પણ વેચશે, બ્રાહ્મણ ત્રણે કાળની સંધ્યા ઉપાસના છોડી બ્રહ્મજ્ઞાન અને વેદ વેદાંતથી પરેનું જીવન જીવશે. આમ કુસંગી પાપી અને વ્યભિચારિ થઈ જશે, એમનામાં સાહસ અને શૌર્યનો અભાવ હશે, તેવો કપટ અને ચોરી જેવા દુર્ગુણને હથિયાર બનાવી જીવિકા ચલાવશે. દૂરબુદ્ધિથી પ્રેરાઈને પોતાની ચિત્તવૃત્તિને મલિન કરશે, ધર્મને માત્ર બાહ્ય દેખાવનું માધ્યમ બનાવી બધાં ધર્મના કર્મ છોડીને, માત્ર દેખાવે ટીલાં ટપકાં કરીને ફરશે, પણ એમનાં વિચાર ધર્મ વિરુદ્ધ હશે, તે દ્વિજ નિંદક કહેવાશે. જો ધન મળી જશે તો એ કુકર્મમાં જોતરાઈ જશે, વિદ્વાન હશે તો વાદવિવાદમાં જ સત્યની ઉર્જા ખર્ચાઈ જશે. પોતાની જાતને અતિશય કુલીન સમજી અથવા બુદ્ધિશાળી સમજીને ચારે વર્ણ સાથે રોટી બેટી વ્યવહાર કરશે. સ્ત્રીઓ પણ સદાચારથી વિમુખ થશે, એમનાં શીલ સંસ્કારના પ્રમાણ બદલાઈ જશે, એમને મન પતિ પરિવારની સેવાનું મહત્વ નહીં રહે. માટે હે સૂતજી આવાં મનુષ્યની દુરાચારથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હશે! અને જેમણે પોતાનાં સ્વધર્મનો ત્યાગ કર્યો હશે. પરોપકાર જેવો ઉત્તમ કોઈ ધર્મ નથી, માટે આપ કોઈ નાનાં એવા ઉપાયથી આ કળિયુગી મનુષ્યનાં સર્વ પાપનો નાશ થાય એવો ઉપાય કહો, કારણકે આપ સર્વ સિદ્ધાંતોનાં જ્ઞાત છો.
આદ્યન્તમંગલમજાત સમાનભાવ
માર્ય તમીશમજરામરમાત્મદેવમ્
પંચાનન પ્રબલપંચવિનોદશીલં,
સમ્ભાવયે મનસિ શંકરમમ્બિકેષમ્.
સૂતજી, જેનો આદિ મધ્ય અને અંત મંગલ છે, અને જે સર્વમાં સમ ભાવ ધરાવે છે, પાંચ મુખ વાળા છે, પ્રબળ છે, અને સ્વભાવે વિનોદ શીલ છે, એવાં અંબિકા પતિ શિવનું સ્મરણ કરે છે. સૂતજી આગળ શિવ પુરાણના શ્લોક અને સંહિતાનું વિવરણ કરે છે. અત્યાર સુધીમાં શૌનક મુનિ તેમજ અન્ય મુનિઓને કળિયુગમાં દ્વિજ એટલે બ્રાહ્મણ ભ્રષ્ટ બુદ્ધિ થતો જશે, એની ચિંતા સતાવે છે! અને આપણે સૌ જોઈ રહ્યાં છે કે આ મુનિઓની ચિંતા વ્યાજબી હતી, કારણકે બ્રાહ્મણ એટલે કે વર્ણની રીતે નહીં, પણ એક સજ્જન અથવા મહેતાજી જેને વૈશ્નવ કહે છે, એવાં માનવી સમાજમાંથી ઘટતાં જાય છે. સમય ઘણો બદલાઈ ગયો છે, અને આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ, ત્યારે માત્ર ખોખલી વાતો વિકાસને અટકાવે , અને અસ્પૃશ્યતા આપણાં સમાજનું દૂષણ હતું, એ નીકળવું જ જોઈએ! પરંતુ સૌ સમાનની એક બહુ મોટી સમસ્યા એ છે કે, હવે ગુમરાહ થતાં સમાજને દોરશે કોણ ? વેદોમાં અને અન્ય પૌરાણિક શાસ્ત્રોમાં સામાન્ય માનવીને કંઈ રીતે જીવન જીવવું એની વાત વણી લેવામાં આવી હતી! અને આ ઉપદેશ બ્રાહ્મણ દ્વારા સમાજને આપવામાં આવતો! હવે પોતે જ દિશા હીન જીવન જીવનારા, બીજાને કંઈ રીતે રાહ ચીંધી શકે!
વિપ્ર, દ્વિજ, કે બ્રાહ્મણ શબ્દ જેની માટે પ્રાયોજિત થાય છે, એ હકીકતમાં છે શું? એવો કોઈ પ્રશ્ન થાય તો! આપણો શું જવાબ હોય શકે! સદગુરુ કૃપાથી એટલું સમજાયું છે કે આ માત્ર વર્ણ પરક શબ્દ નથી! સમાજની બહુ મોટી જવાબદારી છે એની પર! અંતઃકરણ ની પ્રવૃત્તિ મુજબ 15 કે 17 વર્ષ સુધી જેને પ્રસિષ્ત કરવામાં આવે, અથવા વેદ પુરાણોનું જ્ઞાન આપવામાં આવે, અને પછી સામાજિક ઉદેશ્યથી સંસારી બની સમાજમાં રહે એ બ્રાહ્મણ! વિપ્ર એટલે જેનાં જન્મનું કોઈ વિશેષ પ્રયોજન હોય એ વિપ્ર! દ્વિજ એટલે જેનાં બે જન્મ, એક જનની નો જાયો, અને બીજો જન્મ તેને યજ્ઞોપવિત જેવા પવિત્ર સંસ્કારથી સંયમી અને સુસંસ્કૃત બનાવે એ શાસ્ત્ર. આગળ શિવ પુરાણમાં શિવ પોતાને વિપ્ર કહે છે, વર્ણની રીતે આપણે જે હોઈએ તે પણ શંકર જેમ સૌનાં શુભ મંગલનું વલણ અપનાવી શકીએ એમ જીવીએ. ૐ નમઃ શિવાય.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
