સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણ
પરિચય ફાલ્ગુની વસાવડા.
શીર્ષક પ્રાસંગિક.
પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું પ્રાધાન્ય મેળવી પાછો ફરે તે ક્રિયા.
અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ધર્મ બાબતે કોઈ ને કોઈ રીતે આંતરિક વિખવાદ ચાલે રાખે છે, કારણ કે અન્ય દેશમાં મુખ્ય એક ધર્મને લઈને અનુશાસન છે, જ્યારે ભારત એક બિનસાંપ્રદાયિક એટલે કે ધર્મ નિરપેક્ષ છે, અને સર્વ ધર્મમાં માનનારો પણ છે. સનાતન ધર્મનાં જ મુખ્ય ત્રણ ફાંટામાં હિન્દુ બૌદ્ધ, જૈન અને એમ પેટા માર્ગ કે પંથ છે. આપણે ત્યાં પણ શિવપંથી વૈષ્ણવ પંથી અને શાક્ય પંથી જેમ ફાંટા છે.જૈન ધર્મમાં શ્વેતાંબર અને દિગંબર એમ બે મુખ્ય ફાંટા છે. શ્વેતાંબર ધર્મનાં પર્યુષણનાં દિવસો પૂરા થયા, તો દિગંબર જૈનમાં ભાદરવાની પાંચમથી પર્યુષણ શરૂ થાય છે, આ બંને ફાટામાં પણ પાછાં પેટા ફાંટા છે, અને બધાં ફાટામાં પર્યુષણના અંતિમ દિવસે મિચ્છામી દુક્કડમનો તહેવાર ઉજવવામાં આવે છે. જૈનો પોતાના અઠ્ઠાઈ, ચોવીયાર, દીક્ષા, જેવા અઘરા ધાર્મિક વ્રત નિયમો માટે બહુ જાણીતા છે. જૈન ધર્મ અહિંસા, સત્ય,અસ્તેય એટલે કે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અર્થાત્ શરીરની પવિત્રતા અને અપરિગ્રહ એટલે કે બિન જરૂરી સંગ્રહ ન કરવો! એમાં વસુ એટલે કે નાણાં, વસ્તુ એટલે કે દ્રવ્ય, અને વ્યક્તિગત વ્યવહારનો વિનિમયમાં વિચારોનાં સંગ્રહની પણ મનાઈ છે. આ સિદ્ધાંતોએ જૈન સંસ્કૃતિને ઘણી રીતે અસર કરી છે, જેમ કે મુખ્યત્વે દૂધ-શાકાહારી જીવનશૈલી તરફ દોરી જવું. પરાસ્પરોપગ્રહો જીવનમ્ એટલે કે આત્માઓનું કાર્ય એકબીજાને મદદ કરવાનું છે. નવકાર મંત્ર તેની સૌથી સામાન્ય અને મજબૂત પ્રાર્થના છે.
જૈન દર્શનશાસ્ત્રમાં શરીર તત્વનો વાસ્તવિક અર્થ એ છે કે શરીર એ મુક્તિ માટેનું માળખું છે, જે છ સત્યથી દ્રઢ બને છે. ચેતના, અચેતન, આશ્રવ, બંધન, સ્મવર, નિર્જરા, અને મુક્તિ. આ ઉપરાંત પાપ પુણ્ય એ બે શ્વતાબંર ફાંટા માં વધુ ઉમેરવામાં આવે છે.
જૈન દર્શનશાસ્ત્રમાં સાચી આંતરદૃષ્ટિને તત્વમાં શ્રદ્ધા તરીકે ગણવામાં આવે છે. આમ તો જૈન ધર્મનું આધ્યાત્મિક ધ્યેય પણ હિન્દુ જેમ મૌક્ષ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરવાનું જ છે. પરંતુ કાળક્રમે દરેક જીવની પવિત્રતા અને ધર્મ નિષ્ઠા એટલી પ્રબળ રહે નહીં તે માટે વધુ ને વધુ સારા કર્મ કરવા પર ભાર મુકાયો છે અને આવા પુણ્ય કર્મનો સંગ્રહ કરીને વધુ સારા પુનર્જન્મ અથવા મુક્તિની નજીક એક પગલું તરફ દોરી જાય છે, એવો ઉપદેશ પણ ખરો.
**તીર્થંકર
જૈન ધર્મમાં તીર્થંકર શબ્દ બહુ પ્રચલિત છે અને એનાં દ્વારા જ્ઞાનોપદેશ આપવામાં આવ્યો એનું શ્રમણ પર્યુષણ ના દિવસોમાં દેરાસરોમાં શ્રાવક ભાઈ બહેનો ને આપવામાં આવે છે. જૈન ધર્મ હિન્દુથી અલગ છે, એનાં તત્વ ચિંતનમાં ફરી કોઈ વાર જઈશું અને અષ્ટાંગ યોગના અંગોનું મુખ્ય અંગ ધ્યાન ને કંઈ રીતે જૈનો અનુસરે છે એ જોઈશું પણ આ બંને મુખ્ય ધર્મ સંપ્રદાયના તાણાવાણા એકબીજા સાથે વણાયેલા છે. હિન્દુઓના આદર્શ એવાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા અને જૈનોના મુખ્ય પાંચ તીર્થંકરની કલ્યાણકારી ભૂમિ પણ અયોધ્યા છે.
આ તીર્થંકરનું જન્મ માટે માતાનાં ગર્ભમાં આવવું, જન્મનું, દીક્ષા લેવી એટલે કે સંસાર ત્યાગ, કેવળજ્ઞાન એટલે કે મુક્તિ માટે સાધના પંથ નિશ્ચિત કરવો, અને નિર્વાણ, આમ આ પાંચેય સંજોગને ઉત્તમ કલ્યાણકો કહેવાય છે
*-પ્રતિક્રમણ.
જૈન સંપ્રદાયનો બહુ જ જાણીતો શબ્દ છે. જૈનોમાં પર્યુષણ ને મહાપર્વ કહ્યું છે. આ આઠ દિવસ જૈનો, દેરાસર કે ઉપાશ્રયમાં જઈને પોતાના આ શરીર વડે ધર્મની સાધના, આરાધના, અને ઉપાસના,યથાયોગ્ય રીતે કરે છે. રોજ કોઈ એક મુનિનું, ભગવાન શ્રમણ મહાવીરના જીવનને અને તેના ઉપદેશ દ્વારા, મળેલ જ્ઞાનનું વ્યાખ્યાન થાય છે. શ્રોતાઓ તેને રસપૂર્વક સાંભળે છે. અને કંઈક નિયમો પણ લે છે. હવે પહેલે દિવસે એક “પ્રતિક્રમણ” શબ્દ વાપરી તેનો શબ્દાર્થ કહે છે. સંસારી જીવો માટે ગીતામાં પણ કહ્યું છે કે, કર્મ કરવું તે મનુષ્યનો સ્વભાવ છે. અને તે મનુષ્યથી સાહજિકતાથી થવું જોઈએ. પણ જાણે અજાણે જીવથી અમુક વિકર્મો પણ થાય છે. જેનાથી દેહ અશુદ્ધ થાય છે. આત્મા ઢંકાઈ જાય છે, માટે ઈશ્વરનું સ્મરણ કરતા પહેલાં, અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે કે, તેને અનુભવવા માટે દેહ શુદ્ધિ આવશ્યક છે. માટે આ રીતે પોતે કરેલ વિકર્મોની માંફી માંગી, એકરાર કરી હવે જીવનમાં ફરી તેવી ભુલ થાય નહી તેની પ્રતિજ્ઞા લઈ, પછી જ જ્ઞાન મેળવવા માટે તે લાયક બને છે. પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં, વૈરાગ્ય ભાવનું પ્રાધાન્ય મેળવી પાછો ફરે તે ક્રિયા. વૈરાગ્ય એ સંસ્કૃત શબ્દ છે. માટે તે આપણી સંસ્કૃતિએ આપેલ છે, અને જીવનમાં જ્યારે પણ કોઈ વસ્તુ કે પદાર્થ પ્રત્યે મોહ જન્મે કે તરત જ તેનો ત્યાગ કરો, ભોગ વિલાસની આ વસ્તુ પ્રત્યે, તમને ક્યારેય મમત્વ નહીં થાય. આ મારો સ્વાનુભવ છે, જૈનો પોતાનાં દરરોજનાં નિયમોમાં પણ ઘણા વિવેક બદ્ધ છે, પણ એ માત્ર નિયમ સંયમ પૂરતું હોવું જોઈએ નહીં, આ ખાવું પીવું અને તે નહીં, એનાથી આગળ જ ધર્મ છે, પણ એક દીક્ષાના નિયમમાં સહમતી નથી. અણસમજું અને અસંતુલિત માનસ ધરાવતો જીવ જ્યારે દીક્ષા લે, ત્યારે શરૂઆતમાં તેને સફળતા પણ મળે, અને સફળતાનો નશો, જ્યારે ઊતરે ત્યારે તે, પોતાની શક્તિનો દુરુપયોગ કરે છે, અથવા દીક્ષા લેવામાં ઉતાવળ કરી એવું પણ લાગે. તંત્રની ઉપાસના કરવા વાળા જૈન તાંત્રિક, વિનાશને નોતરી શકે છે. અને પોતે જે મેળવ્યું નથી, અથવા ભોગવ્યું નથી અને છોડ્યું છે તે પર, બીજા કોઈનો હક્ક નથી તેવું વિચારીને કોઈ કોઈને, હેરાન કરવામાં તેની શક્તિનો દુરુપયોગ પણ કરવા પ્રેરાય શકે છે.
મિત્રો હું જૈન નથી, કે નથી હું બ્રાહ્મણ! આમ તો જન્મથી કે વર્ણથી જ બ્રાહ્મણ કે જૈન થવાય નહીં. પણ આપણે જોયું એમ બ્રાહ્મણો ત્રણ વખત ઈશ્વરને પોતાની દિનચર્યા સાથે જોડીને, પળપળનો હિસાબ આપતાં અથવા તો ઈશ્વરને સાક્ષી બનાવી કર્મ કરવામા આવતું. જ્યારે જૈનો વર્ષમાં પર્યુષણ પર, પણ હું તો નરસિંહ કુળની, નાગરનાં ઘણા અર્થ થાય, પણ મને ગમતો અર્થ એટલે જે ગર વગરનું એટલે ઝેર વગરનું. તો કોઈ મિત્ર બ્રાહ્મણ, કે જૈન હોય તે કોઈ ગેરસમજ ન કરે, અને જો કાંઈ ખોટું લખાયું હોય તો, તેની માટે ક્ષમા યાચું છું. બાકી આ લેખ આજે અહીં મૂકવાનું કારણ એટલું જ છે કે આજે સમાજમાં ધર્મ બાબતે ઘણી બધી ગેરસમજ થઈ છે, અને સમાજને હવે ધર્મની બાબતે પ્રત્યાહાર કરવાની જરૂર છે, અને એ સંદર્ભે સૌને મિચ્છામી દુક્કડમ છે. ધર્મ ગમે તે હોય પણ દરેકનાં હ્રદયમાં મૂળ ભાવ માનવતાનો હોવો બહુ જરૂરી છે, અને સનાતન ધર્મના મૂળ જ માનવતા છે, અને એટલે એ વિશ્વને આજે પણ શાંતિનો પંથ સૂચવે છે.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
