સોમવારે અમદાવાદમાં સમગ્ર રૂટ પર કર્ફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે રથયાત્રા પૂર્વે આજે ભગવાન સોનાવેશ ધારણ કરશે. ભગવાનના સોનાવેશ ધારણની વિધિ શરૂ થઈ ગઈ છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિરમાં ઉમટ્યું છે. વર્ષમાં એકવાર ભગવાનને સોનાવેશ પહેરાવવામાં આવે છે. સોનાવેશના યજમાનો અને ભક્તો આજે ભગવાનના સોનાવેશના દર્શન કરવા માટે ઉમટ્યાં છે. મંદિર પરિસરમાં ગજરાજની પૂજન વિધિ સંપન્ન થઈ છે. જ્યારે આજે બપોરે ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવશે અને મંદિરના મહંત દિલીપદાસજી તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે.
મંદિર પરિસરમાં ગજરાજનું પૂજન કરાયું
ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવીને લોકો ભગવાનના દર્શનની એક ઝલક જોવા માટે ઘક્કા મુક્કી કરી રહ્યાં છે. મંદિરના પ્રાંગણમાં 11 હાથી અને 3 નાના હાથી લાવવામાં આવ્યા છે. ભક્તો ગજરાજના દર્શન કરી અને સેલ્ફી લઈ રહ્યાં છે. સોનાવેશ બાદ મંદિરના પ્રાગણમાં ગજરાજોની પૂજા કરવામાં આવી હતી. મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ યજમાનોએ ગજરાજની પૂજા કરી હતી.
મુખ્યમંત્રી સંધ્યા આરતીમાં ભાગ લેશે
તે ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી આજે સાંજે 6.30 વાગ્યે જમાલપુર મંદિરમાં ભગવાન જગન્નાથની સંધ્યા આરતીમાં ભાગ લેશે. તેમજ રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે. આ વર્ષે 144મી રથયાત્રા કોરોનાના નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા તેમજ વહિવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.
મંદિરમાં નેત્રોત્સવ અને ધ્વજા રોહણ વિધિ યોજાઈ
અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં હતાં.ભક્તોની ભારે ભીડ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નેત્રોત્સવ અને ધ્વજા રોહણ વિધિમાં ભાગ લીધો હતો.જય રણછોડ માખણ ચોર,મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે,હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. જગન્નાથ મંદિરમાં સાધુ સંતોનો ભંડારો શરૂ થયો હતો. દર્શન કરવા આવેલા લોકોએ પણ કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લીધો હતો.ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તમામ સાધુ સંતોને ધોતી અર્પણ કરી હતી.