સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- શ્રાવણી અભિષેક.
મિત્રો- શુભ સવાર.
શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા શું હતી?
હે દેવોના દેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા રૂપે રહેલાં આપનાં સૌમિત્રી સ્વરૂપને મારા સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. શ્રાવણનો છેલ્લો સોમવાર પણ ગયો અને હવે રોકડા દિવસો છે, પછી શ્રાવણ પૂરો! પણ સમય, માત્ર માસ, તિથિ, અને વાર, પ્રમાણે જ નથી ચાલતો! એ આપણી નિયતી દ્વારા પણ ચાલે છે! અને નિયતી એટલે ઈશ્વર દ્વારા આપણું નક્કી કરેલું આયુષ્ય, અને એ કેમ વિતાવવું અથવા પૂરું કરાવવું! શ્રાવણ ભલે પૂરો થાય પરંતુ હવે અમારાં નિયત આયુષ્યમાં ભક્તિ સિવાય બધાં જ સાધન ગૌણ બની રહેશે, એવું ભગવાન શિવને આપણે વચન આપવાનું છે, અને એમનાં કલ્યાણ નામનાં મુખ્ય ગુણને પ્રાધાન્ય આપી જીવવાનું છે. શિવ અને શિવકથા અંનત છે! અને આ શ્રાવણ પૂરો થશે, પણ એમની કથાનો મહિમા નહીં પૂરો થાય, એટલે આગળ પણ ચિંતનમાં કલ્યાણ જ કેન્દ્રમાં રહેશે.
આગળ ભગવાન નંદીકેશ્વર સનતકુમારોને કહે છે, હે સનતકુમારો, ભગવાન શિવ પાર્વતીનો રાજા ભદ્રાયુ તથા રાણી કીર્તિમાલિની ની પરીક્ષાનો પ્રસંગ સાંભળો. રાજા ભદ્રાયુ નૃપ શ્રેષ્ઠ હતાં, અને એમની પર ભગવાન શિવ ઋષભ રુપે અનુગ્રહ કર્યો, અને એમની પર પ્રસન્ન થઈ દ્વિજેશ્વર રુપે પ્રગટ થયા હતાં. આ ઋષભનાં પ્રભાવથી રાજા યુદ્ધમા વિજયી બન્યાં, અને રાજા ચંદ્રાગ અને રાણી સીમંતિની પુત્રી કિર્તીમાલીની સાથે વિવાહ થયા, અને એકવાર વસંત ઋતુમાં રાજા રાણી વન વિહાર માટે એક ગાઢ વનમાં આવ્યાં, રાજા ભદ્રાયુ ખૂબ જ સાહસિક તેમજ શૌર્યવાન હતાં. એમને કિર્તીમાલિની નામની શિવ ભક્તિ કરનારી સંસ્કારી રાણી હતી, એ બંને વનમાં પણ શરણાગતનું પાલન પોષણ કરતાં હતાં. ભગવાન શિવ અને પાર્વતી એમની ભક્તિથી પ્રસન્ન હતાં, પરંતુ એમણે એની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. બંને જણાં ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું રૂપ લઈ ભદ્રાયુ રાજાની સીમામાં આવેલા વન વગડામાં આવ્યાં, અને એક માયાવી વાધ ની રચના કરી. બ્રાહ્મણ દંપતીએ રાજાને કહ્યું કે અમને આ હિંસક પ્રાણીથી બચાવો! રાજા હજી કંઈ વિચારે તે પહેલાં જ એ માયાવી વાઘ બ્રાહ્મણ પત્નીને દબોચીને ઢસડીને લઈ જાય છે. બ્રાહ્મણ પત્ની હે નાથ બચાવો! હે કૃપાળુ બચાવો! પણ વાઘ એને લઈ જવામાં સફળ થાય છે. બ્રાહ્મણ શક્તિશાળી રાજાને પોતાની પત્નીને બચાવવા કહે છે! અને કહે છે કે તમારા એ અસ્ત્ર શસ્ત્ર ક્યાં ગયા! ક્યાં ગયું એ હજારો હાથીઓનું બળ? રાજાને ખ્યાલ આવ્યો કે એ આ કામ ભાવના પ્રભાવને કારણે સમયે કંઈ કરી શક્યો નહીં! અને હવે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે! એમણે બ્રાહ્મણને કહ્યું હે વિપ્રવર આપને મારા રાજ્યથી માંડીને બધું જ આપું છું. પણ બ્રાહ્મણ એ કહ્યું કે પત્ની વગર સંપત્તિનું હું શું કરું! મેં હજી કામ ભોગનો ઉપભોગ કર્યો નહીં, ત્યાં મારી પત્નીને વાઘે મારી નાખી! એટલે હે રાજન જો આપવી હોય તો, મને તારી પત્ની આપી દે! રાજા ગુસ્સે થઈને કહે છે કે હે વિપ્રવર, તમે શું બોલી રહ્યા છો, એનું તમને ભાન છે? પર સ્ત્રીનાં સ્પર્શથી પણ દૂર રહે એ જ વિપ્ર! બ્રાહ્મણ એ કહ્યું એની ચિંતા તું છોડી દે! મારી તપસ્યાથી મેં ઘણાં વરદાન પ્રાપ્ત કર્યા છે, અને આવા પાપ તો મારી આસપાસ આવતાં જ ભસ્મ થઈ જશે. રાજાએ વિચાર્યું કે ભૂલ મેં કરી અને સજા મારી પત્નીને ભોગવવી પડશે! એણે વિચાર્યું કે મારી પત્નીને વિપ્રને સોંપીને, હું પાપનું પ્રાયશ્ચિત કરવાં અગ્નિમાં બળીને ભસ્મ થઈ જઈશ! એણે પોતાની પત્નીને બોલાવી અને અગ્નિ સ્નાનની તૈયારી કરી! રાજા ખુદ પોતાને અગ્નિમાં પ્રવેશવા જાય છે, ત્યારે ભગવાન શંકર ત્યાં પ્રગટ થાય છે, અને સાચી હકીકત જણાવે છે. પાર્વતી પણ પ્રગટ થાય છે, અને એ વાઘ માયાવી હતો, અને કહ્યું કે આ રાજા ભદ્રાયુ અને રાણી કિર્તીમાલીની પરીક્ષા લેવા માટે કર્યું હતું. રાજા રાણીએ પોતાનાં માતાપિતા અને પુત્ર પરિવાર માટે પાર્શ્વવતી અંતેવાસી સેવક બનાવવાનું વચન લીધું.
દ્વિજેશ્વર નામનાં અવતાર પછી ભગવાન નંદીકેશ્વર સનતકુમારોને આગળ કહે છે, હે મુનિઓ હવે તમે ભગવાન શિવનાં યતિનાથ સ્વરૂપ અને હંસાવતારની વાત સાંભળો. અર્બુદાચલ નામના પર્વત પાસે એક ભીલ અને ભીલડી રહેતા હતાં. બંને પતિ પત્ની ઉત્તમ વ્રતનું પાલન કરતાં હતાં, અને શિવ ભક્તિમાં તલ્લીન રહેતા હતા. એક દિવસ તે શિવભક્ત ભીલ પોતાની પત્ની માટે આહારની શોધ કરવા બહુ દૂર સુધી ચાલ્યો ગયો, સંધ્યાકાળ થઈ છતાં તે પાછો ફર્યો નહીં. ભગવાન શંકર એ ભીલડીની પરીક્ષા લેવા માટે સંન્યાસીનું રૂપ ધારણ કર્યું, અને ભીલનાં ઘરે આવ્યાં, એટલામાં એ ભીલ પણ આહારની વ્યવસ્થા કરીને પાછો આવ્યો, અને એણે બહુ પ્રેમથી એ યતીરાજ સન્યાસીનું પૂજન કર્યું. ભગવાન શંકરે ભીલને કહ્યું કે, આજની રાત મને રહેવા માટે સ્થાન આપો, સવાર થતાં જ હું ચાલ્યો જઈશ, અત્યારે હું ક્યાં જાઉં? ભીલ એ કહ્યું કે સ્વામીજી આપની વાત સાચી છે, પણ મારું સ્થાન નાનું છે, અને એમાં અમે બે જણાં માંડ સમાઈએ છીએ! ભીલડીએ કહ્યું કે હે નાથ આંગણે આવેલા સંન્યાસીનાં વચન પૂરાં કરવા એ ગૃહસ્થ ધર્મ છે, હું શસ્ત્રો લઈ બહાર રહીશ આપ બંને આ કુટિયામાં આરામ કરો. ભીલને થયું પત્નીને કષ્ટ આપવું એ યોગ્ય નથી, માટે હું જ બહાર રહીશ અને યતિનાથ સાથે મારી પત્ની કુટિયામાં રહેશે, અને એણે શસ્ત્રો લીધાં.પણ જંગલનાં હિંસક પ્રાણીઓ એને મારી ફાડી ખાધો! સવાર થતાં જ યતિનાથ અને ભીલડીએ દ્રશ્ય જોયું, એમણે બહું દુઃખ વ્યક્ત કર્યું, અને કહ્યું આ મારે કારણે થયું છે. ભીલની પત્નીને પણ બહુ દુઃખ થયું હતું, છતાં એણે કહ્યું કે મારાં પતિનું સંન્યાસ ધર્મની રક્ષા માટે મૃત્યુ થયું, એટલે એને સદગતિ મળશે! પતિનાં ધર્મનું અનુસરણ કરવું એ મારો ધર્મ છે, માટે આપ મારી માટે એક ચિતા બનાવો, હું પણ એનાં પગલે ચાલીશ. યતિનાથ એ ચિતા બનાવી ભીલડી હોંશ હોંશ અગ્નિમાં પ્રવેશ કર્યો, ત્યારે સાક્ષાત્ ભગવાન શંકર એની સામે પ્રગટ થયાં, અને કહ્યું તું ધન્ય છે! હું ખૂબ પ્રસન્ન છું, તું વરદાન માંગ.ભીલડી આનંદવિભોર બનીને કંઈ માંગી શકી નહીં, ત્યારે શિવે કહ્યું કે મારું આ યતિનાથ સ્વરૂપ આગળ હંસ રુપે પ્રગટ થશે, અને ત્યારે તારો પતિ ભીલ રાજા વીરસેનનો શ્રેષ્ઠ પુત્ર નલ થશે, અને તું વિદર્ભ રાજ ભીમસેનની પુત્રી દમયંતી બનીશ અને, તમે બંને રાજભોગ ભોગવીને મોટા મોટા યોગીશ્વરોને પણ દુર્લભ છે, એ મોક્ષ ગતિ થશે. ભીલ ભીલડીની ધર્મ પ્રત્યે અચલ શ્રદ્ધા જોઈને શિવ અચલેશ્વર શિવલિંગ નામે સ્થાયી થયાં. ભક્ત માટે આવી અપરંપાર કલ્યાણકારી લીલા કરનારા મહાદેવ માટે બોલો ૐ નમઃ શિવાય.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
