ગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ

0
26
કોરોનાના સૌથી વધુ ટેસ્ટ કરાવનારા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૨.૩૩ કરોડ સાથે ટોચના જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે.
કોરોનાના સૌથી વધુ ટેસ્ટ કરાવનારા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૨.૩૩ કરોડ સાથે ટોચના જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે.

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૦ નવા કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૪૧,૮૪૫ છે. ગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. હાલમાં ૧૦,૪૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૨૮૨ છે. ડિસેમ્બરના ૨૭ દિવસમાં કોરોનાના ૩૨૦૬૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૯૩ના મૃત્યુ થયા છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૧૭૨-ગ્રામ્યમાંથી ૬ એમ નવા ૧૭૮ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૫૬,૯૬૬ છે. સુરત શહેરમાં ૧૨૬-ગ્રામ્યમાં ૩૨ એમ ૧૫૮ સાથે કુલ કેસનો આંક હવે ૪૮,૮૨૫ છે. વડોદરા શહેરમાં ૧૦૫-ગ્રામ્યમાં ૩૦ સાથે ૧૩૫, રાજકોટ શહેરમાં ૬૧-ગ્રામ્યમાં ૩૧ સાથે ૯૨ નવા કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૦ સાથે દાહોદ, ૨૬ સાથે ગાંધીનગર-કચ્છ, ૨૩ સાથે ભાવનગર, ૨૨ સાથે મહેસાણા, ૨૦ સાથે જામનગરનો સમાવેશ થાય છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૪, સુરતમાંથી ૨ અને વડોદરામાંથી ૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૨૩૭-સુરતમાં ૯૬૧ અને વડોદરામાં ૨૩૪ છે. કોરોનાથી મૃત્યુદર ૧.૭૭% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૮૩-રાજકોટમાંથી ૧૬૪-સુરતમાંથી ૧૬૦-વડોદરામાંથી ૫૬ એમ રાજ્યભરમાંથી ૯૨૦ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૨૭,૧૨૮ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૩.૯૧% છે. ગુજરાતમાં હાલ ૫,૦૧,૧૬૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૩,૦૭૫ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૯૪,૩૭,૧૦૫ થયો છે.